Monday, July 6, 2015
કરમ કરે કાળીઓ અને ભોગવે ધોળીઓ
એક હતો ઓઘડશંકર.
એનું નામ શું હતું તે તમે જાણો ,
હું ના જાણું.
ઓઘડશંકરને ટેવ એવી કે,
કોઈ પણ, કંઈ પણ ભૂલ કરે,
એટલે ઝટ લઈને બળતા અંગારા પટ દઈને હાથમાં લઈ લે.
અથવા
પટ દઈને માથે મૂકી દે.
અથવા
પટ દઈને હદયમાં મૂકી દે.
લોકો અવાર નવાર ભૂલો કર્યા કરે.
અરે અવાર નવાર તો શું, સવાર પડે ને ભૂલોની વણઝાર શરૂ થઈ જાય.
એક ભૂલ , બીજી ભૂલ, ભૂલ પર ભૂલ.
એક આવે ને ભૂલ કરે, બીજો આવે ને ભૂલ કરે, ત્રીજો આવે ને ભૂલ કરે અને પછી..ભૂલ પર ભૂલ ....
ભૂલ થાય તો ઓઘડશંકર જરાય ચલાવી ન લે.
“આમ થાય જ કેમ” ,
“આમ કરાય જ કેમ”
“ આમ ન જ કરાય.”
“ હું જરાય ચલાવી ન લઉં .”
અને સાચે જ ઓઘડશંકર કોઈ પણ , કાંઈ પણ ભૂલ કરે
કે તરત જ,જરાય વાર કર્યા વગર ઓઘડ તાત્કાલિક દંડ દઈ દે.
રાધર , પોતે દંડ લઈ લે.
ઓઘડશંકર કોઈ પણ ભૂલ જરાય ચલાવી ના લે.
અને એક પણ ભૂલ બદલ તેણે સજા ન કરી હોય એવું બને જ નહીં ને.
ઓઘડશંકર તરત જ અંગારા હાથ પર લઈ લે.
અથવા અંગારા માથે મૂકી દે
અને હ્દય માં પણ મૂકી દે.
જેટલી મોટી ભૂલ ,
એટલા વધુ અંગારા.
એટલું જ નહીં
ઓઘડશંકરના ન્યાયાલય માં બધી જ સજા જનમટીપ ની જ હોય.
નાની ભૂલ , મોટી ભૂલ,
મારી ભૂલ, તમારી ભૂલ,
ઓલાની ભૂલ, પેલાની ભૂલ,
ગઈ કાલે કોઈએ કરેલી ભૂલ ,
કે આજે થએલી ભૂલ,
આવતી કાલે થવાની ભૂલ,
સદીઓ પહેલીની ભૂલ,
કે સદીઓ બાદ થવાની ભૂલ,
અહીંયા થએલી ભૂલ,
તહીંયા થએલી ભૂલ,
ઓઘડશંકર ભૂલો શોધી લેવામા એક્સપર્ટ
ભલ ભલાની ભૂલો શોધી કાઢે.
ઓઘડશંકર બધાનો રેકોર્ડ રાખે.
અને દરેકે દરેક ભૂલો માટે આજીવન કેદ ની સજા ફરમાવે .
પાછો કહેતો જાય.
“ મૈ નહીં ભૂલુંગા”
અને
અંગારા હાથમાં લઈ લે.
અંગારા માથે લઈ લે.
અંગારા હૃદય માં રાખી દે .
અંગારાથી હાથ દાઝે,
અંગારાથી માથુ ભમી જાય .
અંગારાથી હૃદય બળ્યા કરે.
તે ગમે તે હોય ,
પણ ઓઘડશંકર ભૂલની સજા કરે, કરે ,અને કરે જ કરે.
પછી ભલેને કરમ કરે કાળીઓ અને સજા ભોગવે ધોળીઓ.
ભૂલ કરે એક અને એને સજા થાય કે નહીં પણ ઓઘડ પોતાને સજા કરે કરે અને કરે જ કરે.
કોઈ કહે ,” ભાઈ આવી કઠોર સજા ન કર.”
પણ ઓઘડ મોં ફૂલાવી ને કહે ,
ભૂલ ચલાવી ન જ લેવાય .
ભૂલની સજા થવી જ જોઈએ.
મેં ઓઘડશંકરને આજીવન સજા ભોગવતા જોયો છે.
મને બહુ દુઃખ થયું.
એક હતો બોઘડશંકર ,
તમે કદાચ તેને ઓળખતા હશો.
તમે તેનું નામ કદાચ જાણતા હશો.
એને એવી ટેવ કે , જેવી કોઈની ભૂલ થાય કે તરત જ
તેને ક્ષમાના ડીલીટ બીનમાં નાખી દે.
ક્ષમા ના ડીલીટ બીનમાં નાખેલી ઘણી બધી ભૂલો
નેસ્તનાબૂદ થએલી મેં જોઈ.
અને જે ભૂલો નષ્ટ ન પામે તો ??
બોઘડશંકર એ બાબતે બહુ સાવચેત છે.
બોઘડશંકર પણ ભૂલો ચલાવી ના લે .
કોઈ પણ ભૂલો હોય ,
ગઈકાલની ભૂલો,
આજની ભૂલો કે આવતી કાલની ભૂલો.
મારી ,તારી,ઓલાની ,પેલાની ભૂલો થાય તો
ભૂલો પર ધ્યાન દે.
ભૂલો જો પોતાની હોય તો બોઘડશંકર એ ભૂલ સુધારી દે.
અથવા
પોતાના વડે એ ભૂલ ફરી ન થાય એનું ધ્યાન રાખે.
પણ
જો ભૂલ બીજાની હોય તો બોઘડ શંકર તે ભૂલોને તરત જ માફ કરી દે.
માફ કરે એટલે કંઈ બોઘડશંકર એ ભૂલોને માન્યતા, મંજૂરી, પસંદગી, સંમતિ કે બહાલી આપી ન દે.
પણ
એ ભૂલો દૂર થાય એ માટેના પ્રયત્ન માં મંડી પડે.
અને આ ભૂલો ને લીધે પોતાને સજા ના થાય તેની ચોકસાઈ રાખે.
પણ ભૂલે ચૂકે એ ભૂલ પોતાના ઘરમાં ન લાવે.
ભૂલોને હાથમાં ,માથામાં કે હૃદયમાં ન જ રાખે.
કહે છે ક્રોધ અને બળતા અંગારામાં ઝાઝો ફરક નહીં.
કહે છે કે અંગારા મડદાને બાળે અને ક્રોધ જીવતાને બાળે.
તો પછી કોઈએ કરેલી ભૂલ માટે અંગારા આપણે શા માટે લઈએ ?
અને ખરૂં કહું તો ક્યારેક બોઘડશંકર ઓઘડશંકર કોણ છે તેની મને સમજ પડતી નથી.
ક્યારેક બોઘડશંકર ઓઘડ બની જાય છે તો ક્યારેક થાકી હારીને ઓઘડ બોઘડ જેવુંકરવા જાય છે.
મારું આમા કાંઈ ન મળે.
પણ કરમ કરે કાળિયો અને સજા ભોગવે ધોળીઓ એ જોઈ ને મને બહુ દુઃખ થાય છે.
પણ
.ઓઘડશંકરને જઈને કોણ કહે, ‘ભઈ! કોઈની ભૂલની શિક્ષા તું શું કામ ભોગવે ભઈલા ?’
બોઘડશંકરની જેમ ભૂલને ક્ષમાના ડીલીટબીન માં પધરાવી દે.
અનેકવાર ડાહ્યાઓ કહી કહી ને થાકી ગયા છે તે લો ફરી એક વાર મેં કહી દીધું.
.
Tuesday, June 30, 2015
Tuesday, June 23, 2015
આજે હું જીવતી છું કે મરી ગઈ છું?
આજે હું જીવતી છું કે મરી ગઈ છું?
અર્થાત
હું હમણા છું કે નથી??
મારા મા-બાપ હવે આ દુનિયામાં વસતા નથી.
એટલે એમને કઈ રીતે પૂછું?
હું જીવતી છું , કે મરી ગઈ છું?
હું છું, કે નથી??
પણ જ્યારે હવે પ્રશ્ન થયો જ છે તો ચાલ સંબંધોના ગુગલમાં સર્ચ કરી જ લઉં.
ભાઈ , ભાભીને પૂંછું તો ઉત્તર મળે,
આવા સવાલ કરાય ??
અરે આ મરવાની ને જીવવાની તે કાંઈ વાત થાય?
લગ્નપહેલા સાથે જમતા હતા, સાથે રમતા હતા, સાથે નિશાળે જતા હતા એટલે તું નજર સામે હતી એટલે ખબર હતી કે તું જીવે છે, તું છે.
આમ તો તને પરણાવી એટલે તું હવે અન્ય કુટુંબની જવાબદારી,
વાર તહેવારે, રક્ષા બંધન અને ભાઈ બીજે , અમારા ઘરના સારે માઠે પ્રસંગે તું અગર અમને મળવા આવે ,અથવા વોટસ અપ પર તારું લાઈક નું પોસ્ટીંગ આવે, તો ખબર પડે કે કદાચ તું જીવતી જ હશે.
બાકી આજે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને કઈ વાતમાં મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે , કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની અમને શી ખબર ? અમને તારા વિશે આ બધી જાણ નથી , એટલે અમારા માટે તું અ- જાણી છે.અનજાન છે. અમે કઈ રીતે કહીએ કે આજે તું જીવતી છે કે નહીં,
આજે તું છે કે નથી?
ચાલો ભાઈ! ગુગલ સર્ચના આ પાના પર જોઈતી માહીતી નથી,
તો ચલને બીજે સર્ચ કરું.
મેં બહેનના વિચારોને ટકોરા માર્યા,
બહેન બહેન!! મને કહેને કે
હું જીવતી છું , કે મરી ગઈ છું?
હું છું કે નથી??
બહેને કહ્યું ,મારા લગ્ન પહેલા હું રોજ તારા ચોટલા વાળતી હતી, તને જોતી હતી,તું ખુશ થઈને દોડમ્ દોડી કરી મૂકે તે જોતી હતી, તું રીસાઈ ને ખૂણામાં બેસી જાય તો મને ખબર પડી જતી હતી.એટલે ગઈ કાલે તું જીવતી હતી તેની મને જાણ છે ,પણ હવે તો હું મારા સંસારમાં રમમાણ છું, અને તું તારા ઘરે .
મને શી રીતે ખબર પડે કે
આજે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની મને શી ખબર ? મને તારા વિશે આ બધી જાણ નથી , એટલે મારા માટે તું અ- જાણી છે.અનજાન છે.
હું કઈ રીતે કહું કે આજે તું જીવતી છે કે નહીં,
આજે તું છે કે નથી?
ચાલો ભાઈ! ગુગલ સર્ચના આ પાના પર પણ જોઈતી માહીતી નથી,
તો ચલને બીજે સર્ચ કરું.
ચલ પતિને પુછું.
હું જીવતી છું કે મરી ગઈ છું?
હું છું કે નથી??
આવા સવાલ કરાય ??
અરે આ મરવાની ને જીવવાની તે કાંઈ વાત થાય?
પતિ કહે , પહેલા તું મારા માટે રસોઈ કરતી હતી, ઘર સાફ કરતી હતી,કામે જાઉં ત્યારે હાથમાં ચાવી, રૂમાલ, મારો મોબાઈલ અને મારું પાકીટ આપતી હતી, ત્યારે તું હતી એવો આછો આછો અહેસાસ થયાનું યાદ છે.
હું હજીએ મારા પોતાના કામમાં બીઝી છું .
મારા કામ કાજ અંગે મારે પેપર વાંચવાનું હોય.
મારા કામ કાજ અંગે મારે ન્યુઝ જોવાના હોય.
મારા પોતાના કામ કાજ અંગે મારે કામે જવાનું હોય.
ગવર્મેંટના કાયદા જાણવાના હોય ,
“ મોટા લોકોને સલામી આપવાની ,ને નાનાને લાત મારવાની”હોય.
પેપેર માં ન્યુઝમાં, કામ કાજમાં ગવર્મેટના કાયદાઓમાં તારા વિષે કંઈ જાણકારી નથી .
મને શી રીતે ખબર પડે કે
આજે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની મને શી ખબર ?મને તારા વિશે આ બધી જાણ નથી , એટલે મારા માટે તું અ- જાણી છે. એટલે તું અનજાન છે.
હું કઈ રીતે કહું કે આજે તું જીવતી છે કે નહીં,
આજે તું છે કે નથી?
ચાલો ભાઈ , ગુગલ સર્ચના આ પાના પર પણ જોઈતી માહીતી નથી,
તો ચલને બીજે સર્ચ કરું.
એટલે ગઈ દિકરા પાસે.
દિકરો કહે મા તું આમ તો તું બહુ સ્પેશીઅલ છે,
ગઈ કાલે તું મને ભાવતું ખાવાનું બનાવતી હતી, મારું દફ્તર તૈયાર કરતી હતી ,તારા કામમાં મારી વાતો સાંભળતી જ નહોતી ત્યારે મને રીસ ચડતી હતી.
એટલે ગઈ કાલે તું હતી ખરી .
પણ આજે મારે હજી નવા નવા ખેડાણો ખેડવાના છે ,
હું એ અંગે માહિતી ભેગી કરી રહ્યો છું ,
મારા બાળકોને કઈ સ્કુલમાં મુકવા તેની ફિકરમાં છું,
મારી પત્નીની બધી ફરમાઈશ પૂરી કરતા કરતા કંઈ કેટલી મૂસીબતો પડે છે,
વળી બહારનું જગત તો બસ ડીમાંડ કર્યા કરે છે.
મારા પોતાના બધા શોખ તો નેવે મૂકી દીધા છે.
મારું ક્રીકેટનું બેટ, મારું વાયોલીન, મારા ચિત્રો અને રંગપેટી ક્યાંપડ્યા છે તેનું ઓસાણ પણ નથી.
મને શી રીતે ખબર પડે કે
આજે તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની મને શી ખબર ?મને તારા વિશે આ બધી જાણ નથી , એટલે મારા માટે તું અ- જાણી છે, એટલે તું અનજાન છે.
હું કઈ રીતે કહી શકું કે , આજે તું જીવતી છે કે નહીં???
આજે તું છે કે નથી?
ચાલો ભાઈ ! આ ગુગલ સર્ચના આ પાના પર પણ જોઈતી માહીતી નથી,
તો ચલને બીજે સર્ચ કરું.
હવે કોને પૂછું?
દિકરી તો સાસરે ગઈ છે.
સાસરામાં કંઈ કેટલા કામો હોય.
કંઈ કેટલી જવાબદારી હોય .
દિકરીને ત્યાં ક્યાં ટ્ક ટક ટકોરા મારી ક્ટ કટ કરું?
પણ ચાલ હવે ગુગલમાં પાનું ખૂલી જ ગયું છે તો પૂછી જ નાખું.
બેટા હું જીવતી છું કે મરી ગઈ છું?
હું છું કે નથી??
દિકરી કહે,
આવા સવાલ કરાય ??
અરે આ મરવાની ને જીવવાની તે કાંઈ વાત થાય?
લગ્ન પહેલા તું મને ખૂબ વઢતી હતી,
આમ કરાય , આમ ન કરાય એવા રુલ બનાવતી હતી,
મને ભાવતું , ના ભાવતું ખાવાનું બનાવતી હતી ,
મને સ્કુલે તેડવા મૂકવા આવતી હતી,મને ઊઠાડતી હતી અને મને પરાણે સુવડાવી દેતી હતી.
એટલે ત્યારે તું જીવતી હતી ખરી.
પણ આજે હું તારાથી દૂર મારા ઘરે છું. ઘરના કામ કાજ કરૂં ત્યારે તને યાદ કરૂં,રસોઈબનાવું ત્યારે ગઈકાલે તું વઢેલી તે યાદ આવે, ઘરના કામકાજ કરતા કે મારા ઓફિસમાં ક્યારેક અલપ ઝલપ ગઈ કાલે કહેલી તારી ઘણી વાતો યાદ આવે ખરી .એટલે ગઈ કાલે તું હતી ખરી . એટલેકે ખરેખર હતી. પણ મને શી રીતે ખબર પડે કે આજે તું ક્યાં છે, તું શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે, કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તેની મને શી ખબર ?મને તારા વિશે આ બધી જાણ નથી , એટલે મારા માટે તું અ- જાણી છે. એટલે તું અનજાન છે.
હું કઈ રીતે કહી શકું કે આજે તું જીવતી છે કે નહીં??? ,
આજે તું છે કે નથી?
ચાલો ભાઈ ગુગલ સર્ચના આ પાના પર પણ જોઈતી માહીતી નથી,
તો ચલને બીજે સર્ચ કરું.
હવે કોને પૂછું?
હવે કોને પૂછું?
હવે કોને પૂછું?
યાર ! જવાદે ! આ સર્ચ સાવ નિરર્થક છે.
મેં “હું”નું પાનુ ખોલ્યું .
મેં મને જ પૂછ્યું
હું જીવતી છું કે મરી ગઈ છું?
હું છું કે નથી??
મેં તરત જ જવાબ આપ્યો,
અરે!! આ શું સવાલ કરી નાખ્યો??
અરે તું જીવે જ છે.
તું જીવતી હતી , જીવે છે , અને જીવતી રહેશે.
તું હતી, તું છે અને રહેશે.
એમા પૂછવાનું જ શું?
ગઈ કાલે , આજે કે આવતી કાલે
તું ક્યાં છે, શું કરે છે, તું શું અનુભવ કરી રહી છે ,તને શેની મજા પડે છે, તને શું પીડા આપે છે , તારો વિકાસ થાય છે કે તું ઘટી રહી છે ,તને શું ગમે છે, તને શું નથી ગમતું ,તને શું તકલીફ છે, તું શું વિચારે છે , તે બધાની ખબર “હું “ રાખું જ છું. તારા વિશે આ બધી જાણ મને છે જ છે. એટલે મારા માટે તું અ- જાણી નથી .મારા માટે તું જરાય અનજાન નથી.
તું પ્રેમ કરે છે,
સુર્ય પ્રકાશ જોઈ તું ખીલી ઊઠે છે,
ચંદ્ર અને તારા જોઈ તું હરખાઈ જાય છે.
ફુલોની સુંદરતા તું માણી શકે છે.
ક્યાંક પડેલો કચરો તું ઊઠાવી લે છે,
તું બાળકોને જોઈ ખીલ ખીલ હસી પડે છે.
તું વરસતા વરસાદમાં ભીંજાઈ જાય છે.
તું સમુદ્રના મોજા જોઈ ઊલ્લાસે ચઢે છે.
માનવ મહેરામણ જોઈને તને બધા વિશે કુતુહલ જાગે છે.
તું બીજાના સુખે સુખી થઈ જાય છે.
અને
બીજાના દુઃખે દુઃખી દુઃખી થઈ જાય છે.
તું હસી પડે છે, તું રડવા માંડે છે.
તને ઘડનાર અંગે તું શ્રદ્ધા ધરાવે છે.
તું તને ઘડનાર પ્રત્યે કૃતાર્થ છે .
મને ખાતરી છે કે
તું જીવે છે,
તું મરી નથી ગઈ.
Subscribe to:
Posts (Atom)